Sep 5, 2017

દીકરી ની મુઝવણ

સ્નેહા ૨૪ વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ ૧૦ થી ૧૨ છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી પિતા કરસનભાઈ અકળાઈ જતા. કરસનભાઈ ના પત્ની લીલાબેન નું ૪ વર્ષ પહેલા અકસ્માત માં અવસાન થયેલું અને એમને સંતાન માં એક માત્ર દીકરી રૂપે સ્નેહા હતી. કરસનભાઈ પ્રાંતિજ માં પ્રથમિક શાળા માં શિક્ષક હતા અને લીલાબેન પણ ધાર્મિક ભાવના વાળા હતા એટલે સ્નેહા ના ઘડતર અને સંસ્કારો માં કોઈ કમી નહોતી.

કરસનભાઈ એ એક વાર સ્નેહા ને પૂછી પણ જોયેલું કે, બેટા તારા ધ્યાન માં કોઈ છોકરો હોય તો મને બતાવ, હું તને લગ્ન કરતા નહિ રોકું, પણ સ્નેહા નો એકજ જવાબ રહેતો, ના પપ્પા એવું કઈ નથી. તો કરસનભાઈ એમ કહેતા તો કેમ બધીય વાર સામેના પક્ષે થી ના નો જવાબ આવે છે? અને સ્નેહા એકજ જવાબ આપતી પપ્પા એમાં આપણે શું ખબર પડે પપ્પા, એમના મન માં શું છે? કરસનભાઈ એ બચત પણ સારી એવી કરેલી જેથી એમને સમાજ માં શોભે એવા લગ્ન કરવામાં કોઈ તકલીફ પડે એમ નહોતી.

થોડા દિવસ પછી કરસનભાઈ ના દુરના મામા ના દીકરાએ એક સંબધ માટે સમાચાર મોકલ્યા, અને કહ્યું કે છોકરો સંસ્કારી અને દેખાવડો છે, અને પોતાનો વ્યવસાય પણ છે,પરંતુ તેના પિતા હયાત નથી. જો તમને અનુકુળ હોય તો આગળ વાત કરું. સ્નેહા એ સંમતી આપી એટલે મુલાકાત ની ગોઠવણ થઇ.

નિર્ધારિત દિવસે અપૂર્વ એની બહેન કેતકી, અને મમ્મી વાસંતીબેન સ્નેહા ને જોવા માટે આવ્યા. કરશનભાઈ એ મીઠો આવકાર આપ્યો અને સ્નેહા એ બધાય ની સરસ સરભરા કરી. અપૂર્વ એ અભ્યાસ માં M.Com કરેલું અને અભ્યાસ પૂરો કાર્ય પછી પિતા ના રેડીમેડ ગારમેન્ટ ના વ્યવસાય માં જોડાઈ ગયેલો. એમને અમદાવાદ માં રેડીમેડ ગારમેન્ટ ની મોટી દુકાન, અને વર્ષો થી સેટ થઇ ગયેલી એટલે અપૂર્વ ને કઈ વધુ મહેનત કરવાની નહોતી. પરંતુ અપૂર્વ ના વ્યવસાય માં જોડાયા ના એક વર્ષ પછી પુષ્કરભાઇ નું હૃદયરોગ ના હુમલા માં અવસાન થયેલું એટલે એના શિરે પરિવાર ની જવાબદારી આવી ગયેલી.

પુષ્કરભાઇ અને વાસંતીબેન ને સંતાનો માં એક દીકરો અપૂર્વ અને દીકરી કેતકી હતી. કેતકી અપૂર્વ કરતા મોટી અને એના લગ્ન થઇ ગયેલા. કેતકી પણ સુંદર અને સંકરી અને બધાય સાથે ભળી જાય એવી હતી. એ દિવસે અપૂર્વ અને સ્નેહા એ વાત કરી એના કરતા કેતકી એ સ્નેહા સાથે વધુ વાત કરી અને બંને એવા હળીમળી ગયા કે જાણે બંને બહેનો ના હોય? પણ અપૂર્વ સ્નેહા સાથે એકાંત માં વાત કરી ને આવ્યા પછી થોડો મુઝાયેલો રહેતો હોય એવું વાસંતીબેન ને એના ચહેરા ઉપર થી લાગ્યું. કેતકી તો હસતા હસતા એવું પણ બોલી ગઈ કે સ્નેહા અને અપૂર્વ ની જોડી જામે એવી છે.

કરસનભાઈ ને પણ પહેલી નજરે અપૂર્વ ગમી ગયેલો અને મન માં ભગવાન ને એવી પ્રાથના કરેલી કે આ સંબંધ માં સામેથી હા આવે તો સારું. વાસંતીબેને કરસનભાઈ ને એટલું કહ્યું કે અમે અપૂર્વ ની સાથે ચર્ચા કરી ને જવાબ આપીશું.

બે દિવસ વીતી જવા છતાં અપૂર્વ એ કોઈ જવાબ ના આપ્યો એટલે એક સાંજે વાસંતીબેન બોલ્યા: શું કારણ છે કે તું થોડો મને મુઝાયેલો દેખાય છે? કેમ સ્નેહા નથી ગમતી તને? સાથે કેતકી એ પણ કીધું આવી છોકરી અપૂર્વ તને નહિ મળે. તું હા કહી દે. સ્નેહા ના ઘરવાળા તરફ થી તો આપણે જોઇને સાંજે આવ્યા ત્યારેજ હા આવી ગઈ છે. હવે આપણે જવાબ આપવાનો છે.

આખરે અપૂર્વ એ કીધું મમ્મી એવું નથી સ્નેહા મને પણ ગમે છે પણ એની એક શરત છે એટલે હું થોડો મુઝવ છુ, વાસંતીબેન બોલ્યા શું શરત છે? એ તો કહે આપણ ને ઠીક નહિ લાગે તો આપણે ના કહી દઈશું. અપૂર્વ બોલ્યો કે સ્નેહા નું એવું કહેવું છે કે એની મમ્મી લીલાબેન હયાત નથી એટલે લગ્ન પછી એના પપ્પા એકલા પડી જાય... એટલે સ્નેહા એ એક માંગણી કરી છે કે જ્યાં સુધી પપ્પા જીવે ત્યાં સુધી હું મહિના માં એક થી બે વાર મારા પપ્પા ને મળવા જઈશ અને વર્ષ માં મારા પપ્પા ને એક વાર મારા ઘરે એક બે અઠવાડિયા રહેવા લાવીસ બસ આ શરત મંજુર હોય તોજ હું લગ્ન કરવા માગું છુ નહીતર મારે લગ્ન કરવા નથી. અને સાથે એમ પણ કહ્યું કે આ વાત તમારે મારા પપ્પા ને કરવાની નથી.

આટલી વાત સાંભળી ને કેતકી બોલીપડી કે એમાં શું વાંધો છે? એ તો આપણે સ્નેહા ની જગ્યાએ હોઈએ અને વિચારીએ તો ખબર પડે. પણ વાસંતીબેન કશુય બોલ્યા નહિ અને ચુપચાપ બેસી રહ્યા. કેતકી ને એમ કે મમ્મી હમણા કઈક બોલશે પણ વાસંતીબેન કાંઈજ ના બોલ્યા એટલે કેતકી થી ના રહેવાયું. મમ્મી કેમ તું કશુજ બોલાતી નથી કઈક તો કહે.

થોડી વાર પછી વાસંતીબેન બોલ્યા કે સ્નેહાએ જો શરત મૂકી છે તો આપણે પણ શરત મુકીએ જો એમને મંજુર હશે તો આપણે હા પડીશું નહીતર આપણા તરફ થી પણ ના કહી દઈશું. બે દિવસ પછી વાસંતીબેને કરશનભાઈ ને ફોન કરીને જણાવ્યું કે તમે સ્નેહા ને લઈને અમારા ઘરે આવો પછી આગળ વાત.

આબાજુ કેતકી અને અપૂર્વ વિચાર માં પડી ગયા કે મમ્મી ને વળી કેવી શરત મુકવી છે? અને ત્યાં કરશનભાઈ અને સ્નેહા વિચારવા લાગ્યા કે વાસંતીબેને એમ કેમ કહ્યું કે એક વાર તમે અહી આવો પછી આગળ વાત...

બે દિવસ પછી સ્નેહા કરશનભાઈ ની સાથે અપૂર્વ ના બંગલે આવી. વાસંતીબેન ઉમળકા ભેર આવકાર આપ્યો અને કેતકીએ બધાય ની ખુબજ સરસ સરભરા કરી. થોડી આડીઅવળી વાતો પછી વાસંતીબેન બોલ્યા: જુઓ કરશનભાઈ અમને સ્નેહા પસંદ તો છે.. પણ.. જો તમને મારી એક શરત મંજુર હોય તો અમારા તરફથી હા સમજવાની નહીતર ના ...

અપૂર્વ અને સ્નેહા ના લગ્ન પછી તમારે ત્યાં પ્રાંતિજ માં એકલા રહેવાનું નથી પરંતુ તમારે અમારી સાથે અહી આ બંગલા માં રહેવાનું છે. બંગલો ખુબ મોટો છે એટલે તમને અગવડ નહિ પડે અને હા મારી પાસે બીજો એક વિકલ્પ પણ છે. કદાચ તમને દીકરીને ત્યાં રહેવામાં સંકોચ થતો હોય તો અમારો એક બીજો બંગલો અહીંથી ૧૦ મિનીટ ના અંતરે છે એટલે તમે ત્યાં પણ રહી શકો છો. એ બંગલો એમ પણ બંધ હાલત માં છે કોઈને ભાડે પણ નથી આપતા. હું આ બાબત માં તમારા તરફ થી ના તો સાંભળવા માગતી જ નથી અને સ્નેહા અને અપૂર્વ ને દુખી કરવા પણ બિલકુલ માગતી નથી.

અને વાસંતીબેન સ્નેહા સામે જોઇને બોલ્યા : બેટા આટલી નાની વાત માં તું મુઝતી હતી. જેટલો તારો હક તારા પપ્પા પર છે એટલો અપૂર્વ નો પણ છે. કરસનભાઈ તો વિચાર માં પડી ગયા કે આ બધુય શું ચાલી રહ્યું છે? વાસંતીબેને કરસનભાઈ ની વિચાર મગ્ન અવસ્થા તોડતા સઘળી વાત કહી અને બોલ્યા કે મારે આવી દીકરી જોઈએ છે વહુ નહિ. આજે મારે એક નહિ બે દીકરીઓ છે કેતકી અને સ્નેહા.

વાસંતીબેન ની સઘળી વાત સાંભળી ને કરશનભાઈ ની આંખ માં પાણી આવી ગયા અને હવે એમને સમજાયું કે અત્યાર સુધી જે છોકરા સ્નેહા ને જોઇને જતા હતા અને શા માટે સામેથી ના પડતા હતા. સ્નેહા પણ કરશનભાઈ ની સામે જોઇને રડી પડી અને કરસનભાઈ ને વળગી ગઈ. વાસંતીબેન ઉભા થયા અને સ્નેહા ને માથે હાથ ફેરવ્યો અને સ્નેહા વાસંતીબેન ને પગે લાગી, તો વાસંતીબેને સ્નેહા ને ગળે લગાવી. આજે સ્નેહા ને માં અને બાપ બંનેનો પ્રેમ એક લાંબા સમય ના અંતરાલ પછી એક સાથે મળ્યો હતો. આજે બધાય ની આંખ માં આંસુ હતા પણ એ આંસુ પ્રેમ ના હતા ...

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...